gajeravidyabhavanguj
હોય મુશ્કેલી તો મૂંઝાય શાને?, ખોલ ગીતા, ઉકેલ છે પાને..પાને...!

વિશ્વમાં ભારત અનોખું સ્થાન ધરાવે છે. ધર્મ, વિજ્ઞાન, ધર્મ સંસ્કૃતિ અને કલાનાં વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્વનું પ્રદાન રહ્યું છે. ભારતીય સંસ્કૃતિ બે મહાકાવ્યોથી ઉજાગર છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અને મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત રામાયણે મર્યાદા પુરુષોત્તમ રામ આપ્યા અને મહાભારતે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આપ્યા, શ્રીકૃષ્ણનું નામ આવે એટલે અમૃતધારા જેવી શ્રીમદ્દ ભગવદ્દગીતાની યાદ આવે છે. ભગવદ્દ ગીતાએ શ્રીકૃષ્ણના મુખેથી પ્રગટ થયેલી શ્રીવાણી છે એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે.

ભગવદગીતાને તેના વ્યવહારુ, રાજકીય, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મુલ્ય માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી હિન્દુ ગ્રંથ માનવામાં આવે છે. આ સમગ્ર વિશ્વનો એક જ એવો ગ્રંથ છે, જેની જયંતિ મનાવવામાં આવે છે. મૂળ ભગવદ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે. જેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકો છે.
મહાભારતના યુધ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક અને સારથી બનેલા શ્રી કૃષ્ણને યુધ્ધ ન કરવાનું કહે છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને આ ઉપદેશ આપ્યો જેને ‘શ્રી ભગવદ ગીતા’ તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ ભગવદ ગીતાના ૧૮ અધ્યાય માંથી પ્રથમ ૬ અધ્યાયોમાં કર્મયોગ પછીના ૬ અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા ૬ અધ્યાયોમાં ભક્તિયોગના ઉપદેશ છે.

ગીતા મનુષ્યનો પરિચય જીવનની વાસ્તવિકતાથી કરાવી વગર સ્વાર્થે કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. ગીતા અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભ જેવી સાંસારિક વસ્તુઓમાંથી મુક્તિનો માર્ગ બતાવે છે.
બાળકો પણ ગીતાના આ દિવ્યજ્ઞાનને અનુસરે અને જીવનને મંગલમય બનાવે એ હેતુથી અમારા બાલભવનમાં ‘ગીતા જયંતિ’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જીવન વિશે માહિતી આપી અને ભગવદગીતાની સમજ અને મહત્વ સમજાવ્યું હતું.