gajeravidyabhavanguj
શિક્ષણ માટેના હકારાત્મક વાતાવરણમાં જ શૈક્ષણિક સફળતાનું વૃક્ષ ઉગી શકે.
"એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય"

આ જગતમાં મોટે ભાગે બે પ્રકારની વિચારધારા કે અભિગમ ધરાવનારા લોકો જોવા મળે છે. જે લોકો આપણને સદા ખુશ, હસતાં, તંદુરસ્ત અને મનમોજી દેખાય છે તેમનો જીવન માટેનો દૃષ્ટિકોણ હકારાત્મક હોવો જોઈએ. હકારાત્મક અભિગમ એક વિચાર માત્ર નથી પરંતુ જીવન જીવવા માટેની ઉમદા શૈલી છે. જેમણે પોતાની મંઝિલ સુધી પહોંચવું છે, કોઈ સિદ્ધિ કે સફળતા હાંસલ કરવી છે, તણાવમુક્તઅને તંદુરસ્ત જીવન જીવવું છે, તેમણે અંગ્રેજી ઉક્તિ "Think positive, Act positive and Be positive" પ્રમાણે જીવન દ્રષ્ટિ કેળવવી જોઈએ. આજીવન સૂત્રને જીવનમાં અપનાવી વિદ્યાર્થીઓ, શિક્ષકો, મોટા પદાધિકારીઓ જગ પ્રસિદ્ધિ મેળવી પોતાના સ્વપ્નો સાકાર કરી શક્યા છે.
"અપની સોચ બદલો, નજરીયા બદલો, તો આપ કી દુનિયા બદલ જાયેગી"
એટલે કે, "Forget the past" ભૂતકાળને ભૂલી ઉજ્જવળ ભાવિ તરફ આગળ વધો જે બની ગયું છે એનો વિચાર કે શોક કરવાનો ન હોય. આ કામ મારાથી નહીં થાય તે વિચાર ની ડાળી જ કાપી નાખો. એક વિદ્યાર્થી એમ વિચારે કે પ્રશ્નપત્ર અઘરું નીકળશે તો? વાંચેલું યાદ નહીં આવે તો? આ રીતે જિંદગીને પ્રશ્નાર્થ રૂપ બનાવી હિંમત હારી જનાર નેગેટિવ વિચાર ધારા અપનાવી દુઃખી થાય છે.
આપણા પવિત્ર ધર્મ ગ્રંથ ગીતામાં પણ ફળની આશા રાખ્યા વિના કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે. કોઈ પણ કર્મનું ફળ તો આપોઆપ મળે જ છે. મેડમ ક્યુરી એ અંધ હોવા છતાં રેડિયમ અને બ્રેઇલ લિપિની શોધ કરી. સુધાચંદ્ર નામની નાયિકાનો એક પગ લાકડાનોહોવા છતાં સારી નૃત્યાંગના સાબિત થઈ આવા અનેક દ્રષ્ટાંતો છે, જેમણે જીવનમાં હકારાત્મક અભિગમ દ્વારા સફળતાની સીડીઓ ચઢી ટોચ પર પહોંચ્યા ની સાક્ષી પુરી છે. પોઝીટીવ વિચારસરણી વાળી વ્યક્તિ જીવન પ્રત્યે આશાવાદી હોય છે. આશાવાદી હંમેશા આપત્તિમાં અવસર કે નવીન તક જુએ છે. તે વ્યક્તિ ગમે તેવી વિપરીત પરિસ્થિતિ કે વિકટ સમસ્યા નું સમાધાન આસાનીથી શોધી શકે છે.
"Nothing is impossible in the world."
જે પથ્થર આપણી સફળતાની રાહ મા નડતો હોય તેને જો આપણે પગથિયું બનાવી દઈએ તો એ પથ્થર આપણને મંઝિલ સુધી પહોંચાડી દે છે. તો આવો આપણે આપણો અભિગમ બદલીએ. ગુલાબ ને કાંટા સાથે જ સ્વીકારીએ તો એના સૌંદર્યને માણી શકીએ છીએ. જો ફિનીકસ પક્ષી રાખમાંથી બેઠું થઈ શકતું હોય તો કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. એક ઐતિહાસિક તબક્કો કહી શકાય એવા કોરોના મહામારી ના સમયે જ્યારે લોકડાઉન થયું ત્યારે નાનાથી લઈને મોટા લોકો એક અલગ જ અનુભવ કરી ચૂક્યા છે. શાળાઓ બંધ થઇ જતાં શરૂઆતમાં બાળકોને રમવા કુદવા અને ઘરમાં મોજ મસ્તી કરવાની ખૂબ મજા આવી હતી. પરંતુ થોડા જ સમયમાં એકલવાયા જીવનથી કંટાળી આળસુ અને નિરસ બની ગયા ત્યારે વર્તમાન સ્થિતિની બાળમાનસ પર અસર ન થાય. બાળક શૈક્ષણિક સેતુથી બંધાયેલો રહે અને બાળકમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે અમારું ગજેરા બાળભવન સતત કાર્યરત છે. બાળક ઘરે રહીને તેની એનર્જીનો યોગ્ય ઉપયોગ કરી શકે તે હેતુથી બાલભવનમાં ફિઝિકલ અને માઈન્ડ ફિટનેસ એક્ટિવિટી કરાવવામાં આવે છે. જેમાં બાળકોને લાફટર યોગા, એરોબીક્સ, ઝુમ્બા જેવી વિવિધ એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે.