gajeravidyabhavanguj
મનની લાગણી અને સ્મિત નો સંગાથ એટલે સંગીત

સામાન્ય રીતે સંગીતની પરિભાષા કરો તો ગાયન, નૃત્ય અને વાદ્ય આ ત્રણેય કલાઓનો જ્યારે સમન્વય થાય ત્યારે સંગીત સર્જાતું હોય છે.
“આત્માને મનની સાથે જે સંલગ્ન કરે તે સંગીત”

અત્ર-તત્ર-સર્વત્ર જ્યાં જુઓ ત્યાં સંગીત માણવા મળે છે. ઝરમર વરસતા વરસાદમાં, ખળખળ વહેતાં ઝરણાં, કલરવ કરતા પંખીઓમાં, નૃત્ય કરતા મયુરમાં, ખીલ ખીલ કરતા બાળકમાં દરેક જગ્યાએ સંગીત નો સામ્રાજ્ય છે. સંગીત એક સાધના, આરાધના અને મેડિટેશન છે. સંગીત એ આત્માને પરમાત્મા સાથે ભક્તિથી ભેળવવાની એક સુંદર અનુભૂતિ છે.

સંગીત ની શોધ ક્યાંથી થઈ તે અંગે એવી માન્યતા છે કે પશુ પક્ષીઓ ના અવાજ માંથી સંગીતની ઉત્પત્તિ થઈ છે અને પછીથી તેનું નામકરણ કર્યુ. મોરના ટહુકામાં થી "સડજ", ચાતકના કંથ ની અભિવ્યક્તિ માંથી "ઋષભ", બકરાના બે બે માંથી "ગાંધાર", કાગડાના કા...કા માંથી "મધ્યમ", કોયલના ટહુકા માંથી "પંચમ", દેડકાના ડ્રાઉ .. માથી થઈ "ધૈવત", હાથી ના અવાજમાંથી "નિષાદ" એ પ્રમાણે આ ૭ રાગ ઉત્પન્ન થયા એમ કહેવાય છે. આ સાત સ્વરો જે સા, રે, ગ ,મ,પ ,ધ તરીકે ઓળખાય છે.
સંગીત વિનાનું જીવન ફિક્કું અને નિરસ છે. ગીતમાં એવી તાકાત રહેલી છે કે જે કામ વિજ્ઞાન નથી કરી શકતું તે સંગીત કરી શકે છે. સંગીત માણસના જીવનને જીવંત પ્રાપ્ત કરવામાં મહત્વનો ફાળો આપે છે. સંગીત બાળ વિકાસ માટે અસંખ્ય ફાયદા પ્રદાન કરવા માટે પણ મદદરૂપ થાય છે. બાળકોના સર્વાગી વિકાસ માટે સંગીત અદભુત અસર કરે છે.

શાળામાં મોટર સ્કીલ એક્ટિવિટી, ભાષા કુશળતા શ્રાવ્ય અને સંવેદનાત્મક વિકાસ, બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ જેવા મૂળભૂત પાસાઓમાં સંગીત મુખ્ય સ્થાને છે. ખરેખર જીવનમાં સંગીતને ખૂબ જ મહત્વ છે. ગમે તેવા થાકેલા, હારેલા માણસને સંગીત નાચતા કરી દે છે. પશુ-પક્ષી અને વનસ્પતિને પણ સંગીત ખૂબ પ્રિય છે. અમુક જગ્યાએ તો દર્દીઓની સારવારમાં પણ સંગીતનો ઉપયોગ થાય છે. લોકોને સંગીતનું મહાત્મય સમજાય તે હેતુથી દર વર્ષે ૨૧ જૂન ના રોજ "વર્લ્ડ મ્યુઝિક ડે" તરીકે ઉજવવામાં આવે છે.

અમારા બાલભવનમાં પણ મ્યુઝિક ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને સંગીતના વિવિધ વાદ્ય (સાધન) ની ઓળખ કરાવવામાં આવી તેમજ વિવિધ વસ્તુઓમાંથી નીકળતા અવાજોની સમજૂતી આપવામાં આવી. બાળકો પોતાના ઘરમાં રહેલી વેસ્ટ વસ્તુઓમાંથી સંગીતના સાધનો બનાવીને લાવ્યા હતા. શિક્ષકોએ અભિનય ગીત અને જોડકણાં ગવડાવીને મ્યુઝિક ડે ની સમજુતી આપી.