gajeravidyabhavanguj
બાળકોમાં શા માટે જરૂરી છે, આદરભાવ, વિનમ્રતા, અને સત્કારનો ગુણ
"બાળક માનવશાસ્ત્ર નું મૂળ છે"

બાળકમાં આદરભાવ ,વિનમ્રતા અને સત્કારનો ગુણ બાળપણથી જ કેળવાય છે. કોઈ પણ બાળકના આવનારા વર્ષ તેના બાળપણના અનુભવો પરથી નક્કી થાય છે. બાળક હંમેશા નકલ કરતું હોય છે. બાળકે જોયેલા સમજના વાતાવરણ મુજબ વર્તન કરે છે. સામાજિક વાતાવરણમાં બાળક જે લોકોને મળે છે તે તમામ લોકો પણ સંકળાયેલા છે જેમાં પરિવાર, શાળા અને મિત્રો નો સમાવેશ થાય છે.
બાળકના યોગ્ય વિકાસ માટે સામાજીકરણ જરૂરી છે. જેમાં પરિવાર સામાજિકરણ નું મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે, જયાં બાળકના ચારિત્ર્ય નું ઘડતર થાય છે.

બીજું પરિબળ છે શાળાનું વાતાવરણ. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે. એટલે જ તો કહી શકાય કે બાળકો માટે શાળા નવા સમાજ તરીકે વર્તે છે. બાળકના સારા અને સર્વાગી વિકાસ માટે શૈક્ષણિક સિદ્ધિ, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ ત્રણેય પરિબળો દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
* બાળકને સમય આપો:-
તમે તમારા બાળકો સાથે સામસામે વાતચીત કરો. જેથી બાળકો અમુક વાત હંમેશા યાદ રાખશે. તેમની સાથે હોવ ત્યારે તેમને પ્રાધાન્ય આપો ફોન અથવા ટીવીને નહીં. તેમને ખબર હોવી જોઇએ કે તમારું બધું ધ્યાન તેમની પર જ છે.

* બાળકોને સ્વતંત્રતા આપો:-
બાળકોને મુસીબતોથી ટ્રસ્ટ થયા વગર એમાંથી બહાર નીકળતા શીખવો. જે સૌથી મોટી ભેટ તમે તમારા બાળકને આપી શકો છો એ છે વિશ્લેષણ કરી શકવાની સમજ. ભૂલો કરી સુધારવાની તક અને સમસ્યાનો સમાધાન લાવવાની સૂઝ તેમને જાતે જ શીખવા દો.
* માતા-પિતાની ભૂમિકા:-
માતા-પિતા બાળક માટે આદર્શ હોય છે. જેથી આરામદાયક, મુક્ત અને મિત્રતા ભર્યો વ્યવહાર બાળક સાથે રાખો .માતા-પિતા બાળકના મૂલ્યો અને લક્ષ્યાંકો ને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકને માત્ર ખોરાક, પાણી અને છતની જ મુખ્ય જરૂરિયાત નથી. બાળકને જરૂર છે તેમની સાથે વાતચીત કરનારા અને તેમના જે ધ્યેય, આશા અને સમસ્યાઓને સાંભળનાર. માતા-પિતા એ રોજ બાળક સાથે ચર્ચા કરવી જોઈએ.
બાળક માટે જરૂરી છે પોતાની ઓળખ ઊભી કરવી જેના માટે વિશિષ્ટ લક્ષણો કેળવવા પડે. જેના કારણે અન્ય બાળકોથી અલગ દેખાય. માતા-પિતા તેના બાળકને પ્રોત્સાહિત કરવાની સાથે સાચા નિયમોથી અવગત કરાવવા જોઈએ.
"બાળક પ્રભુની અમૂલ્ય બક્ષિસ છે."

* શિક્ષકની ભૂમિકા:-
બાળકનો લાગણીશીલ વિકાસ શિક્ષણ ના અનુભવો, બુદ્ધિમત્તા અને પરિપક્વતા પર આધારિત હોય છે. બાળકો સાથે અસરકારક સંબંધો બનાવવા શિક્ષકોએ હકારાત્મક બનવું અને સારા શ્રોતા બનીને બાળકોને પ્રોત્સાહિત કરવા.
જીવનના કેટલાય સિદ્ધાંતો એવા છે જેની ઉપરવટ થઈને માણસ ક્યારેય કશું મેળવતો નથી. સત્ય,પ્રમાણિકતા, વિવેક, વિનમ્રતા, પરિશ્રમ જેવા સદગુણો ના આધારે જ માણસ પોતાના જીવનની શિસ્ત જાળવી પોતાના તથા અન્યો માટે સુખી અને સંપન્ન જીવન જીવી શકે છે.
બાળક પોતાના જીવનમાં વિવિધ સ્તરે એક પછી એક મૂલ્યોને આત્મસાર કરતા રહે એવી કેળવણી આપવી એ અત્યંત જરૂરી છે.