gajeravidyabhavanguj
અલબેલી વસંત એટલે સૃષ્ટિનો શણગાર

"આ કાળડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈ નથી પગલા વસંતના"
આપણો ભારત દેશ ઋતુઓની બાબતમાં સમૃદ્ધ છે. કુદરતે ભારતને રમ્ય ઋતુઓની વિવિધતા બક્ષી છે. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ જેવી છ ઋતુઓ વર્ષભર વાતાવરણને નવીનતાથી ભરે છે. દરેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય છે. દલપતરામે તો વસંત ને ઋતુરાજ કહે છે.
"રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામે તેણે વનમાં જમાવ્યો"
વસંતઋતુના આગમન સાથે જ ધરતીના અંગેઅંગમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવાન સોળે કળાએ ખીલી ઉઠે છે. વસંતઋતુના આહલાદક વાતાવરણની અસરથી મનુષ્ય અને પશુ-પંખીઓ પ્રફુલિત બની જાય છે. કવિઓએ વસંતઋતુને ‘ઋતુરાજ’ નું બિરુદ આપ્યું છે. વસંતનો વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારની પીંછીને સર્જનની અવનવી કેડીયુ તરફ દોરી જાય છે. આમ વસંતઋતુની શરૂઆત વસંત પંચમીના દિવસથી થાય છે. શિશિરમાં સુકાઈને ખરી પડેલા પાંદડાવાળા વૃક્ષો નવપલ્લવિત થઈ ઊઠે છે.
વસંત પંચમીના દિવસે માઁ સરસ્વતી ની પૂજા કરવામાં આવી છે. પૌરાણિક કથાઓ અનુસાર વસંત પંચમીના શુભ દિવસે જ જ્ઞાન, વાણી, કલા તેમજ સંગીતની દેવી સરસ્વતી દેવીની ઉત્પત્તિ થઈ હતી. બ્રહ્મદેવના આહવાહનથી માતા સરસ્વતી કમળ ઉપર બિરાજમાન થઈ હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરીને પ્રગટ થયા હતા. દક્ષિણમાં ભારતમાં તેને “શ્રી પંચમી” પણ કહેવામાં આવે છે.
"વસંત પંચમી એટલે વિદ્યા અને જ્ઞાનનું પંચામૃત"
ભગવાન શ્રીકૃષ્ણએ વસંત પંચમીના શુભ દિને માતા સરસ્વતીની પૂજા કરી વિદ્યા અભ્યાસની શરૂઆત કરી હતી. જેથી વિદ્યા અભ્યાસના આરંભ માટે આ દિવસ શુભ માનવામાં આવે છે અને પીળા રંગની વસ્તુઓ દ્વારા માઁ સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે.
અમારા બાલભવનમાં વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને પીળા રંગનું મહત્વ સમજાવવા માટે કાંટા ચમચીથી છાપકામ, હળદરથી સ્વસ્તિક, વીણા અને કમળમાં રંગપૂરણી કરાવી. અમારા નાના નાના બાળકોએ ભારતનાટ્યમ દ્વારા સરસ્વતી વંદના કરી. માતા સરસ્વતી સાહિત્ય, સંગીત અને કલાનું સર્જન કરનારી છે. તેથી સંગીતના વાદ્ય (સાધનો) અને પુસ્તકો નું પૂજન કર્યુ. "હે માં સરસ્વતી મારી કલમની તુ સત્ય માટે ચલાવ, મારા શબ્દોને મારું આચરણ બનાવ, મારી કલમ એ સ્વાર્થ થી ઘણી દૂર રહે અને નિ:સ્વાર્થ ભાવે લખતી રહે" આપ સૌને વસંત પંચમી ની હાર્દિક શુભકામના....